લોકસંસ્કૃતિમાં ચાચર-ચોકનું માન અને સ્થાન
લોકસંસ્કૃતિમાં ચાચર-ચોકનું માન અને સ્થાન ભારતીય અને યુરોપીય એવી બંને મુખ્ય આર્ય શાખાઓમાં કલા અને સંસ્કૃતિના વિકાસમાં ચાચર-ચોકનું ખાસ મહત્ત્વ રહ્યું છે. વિશ્વની લગભગ તમામ ક્રાંતિઓનું ઉદ્દભવ સ્થાન નગર કે ગામનો ચોક રહ્યો છે. સામાજિક , ધાર્મિક , રાજકીય , મનોરંજન કે કલાકીય એમ વિવિધ પ્રવૃતિઓ માટે ગામ કે નગરના ચોકનો ઉપયોગ થાય છે. કોઈ પ્રસંગ- ઉત્સવ કે સભા-સરઘસ નિમિત્તે વિશાળ જનસમૂદાય ગામ કે નગરના ચોકમાં એકઠો થાય ને ત્યાં ઘટના વિશેષની ચર્ચાવિચારણા કરે છે. એમાંથી જ આગળ જતાં બહુમોટી અને પરિણામગામી સામાજિક અને રાજકીય પરિવર્તનની પ્રક્રિયાનું બીજારોપણ થાય છે. ‘ ચાચર ’ શબ્દ મૂળ સંસ્કૃતના ‘ ચત્વર ’ પરથી ઉતરી આવ્યો છે. ‘ ચત્વર ’ નું પ્રાકૃતમાં ‘ ચચ્ચર ’ થયું. તેનું ગુજરાતીમાં ‘ ચાચર ’ બન્યું. સંસ્કૃત ચત્વરનો અર્થ થાય ચોક , જે ચારની સંખ્યા સૂચવે છે. જ્યાં ચાર રસ્તા મળતા હોય તેવી જગ્યા , ચાર રસ્તાનું ચકલું. બીજો એવો અર્થ પણ કરી શકાય કે ચો...