સાર લેખન / સંક્ષેપીકરણ
ગુજરાતી વિભાગ તા: ૧૫/૦૭/૨૦૨૪
સેમ -5
પેપર : 510 – સમીક્ષા – અપઠિત
એકમ -૧ સાર લેખન / સંક્ષેપીકરણ વિશે સૂચનો:
·
વિષય શું છે? (બે-ત્રણ વાર વાંચો)
·
સાવધાની સાથે મુખ્ય અને ગૌણ મુદ્દાઓ અલગ કરો,બિન-મહત્વની માહિતીને દૂર કરો. ઉ.ત. :- ટીકા-ટીપ્પણી-ઉદાહરણો.
·
એવો મુદ્દો ન કાઢી નાખો કે જે મૂળ વિષયનું હાર્દ હોય!
·
મુખ્યમુદ્દા નીચે લીટી દોરી બીજા મુદ્દાઓ પરથી ધ્યાન હટાવો.
·
સારલેખન દરમિયાન મૂળ ફકરાનું અનુકરણ ટાળો.
·
લખતી વખતે તમારા વિચારો અને વિષય એકબીજાને લાગતાં-
વળગતાં હોવા જોઈએ!
·
એકને એક વાત કહેવાઈ હોય તો વાક્યો ભેગા કરી ને ટૂંકાવો.
·
શબ્દ સમૂહો માટે એક શબ્દ/પારિભાષિક શબ્દો/સમાસ વાપરો.
·
વધારાનાં વિશેષણો કે ક્રિયાવિશેષણો દૂર કરો.
·
અંતે આખાય પરિચ્છેદનો આપણા મૌલિક શબ્દોમાં માત્ર સાર લખો.
·
સરસમજાનું વિષયાનુરૂપ શીર્ષક આપો.
·
વાંચતાં-વાંચતાં તમને ખ્યાલ આવશે કે પ્રસ્તુત પરિચ્છેદ કોઈ ભાવ-વિચારનો વિસ્તાર છે. એ ભાવ-વિચારને વ્યક્ત કરવા માટે –
·
ક્યાંક ઉદાહરણો કે કાવ્યપંક્તિઓ આપીને વિચારને વધુ સ્પષ્ટ કરવાનો કે સમજાવવાનો તાર્કિક રીતે પ્રયત્ન કર્યો હોય છે.
·
ક્યાંક શબ્દસમૂહ કે સામાસિક શબ્દોનો વિસ્તાર ભાષાના . પોતને, એના બળને હાનિ પહોંચાડતાં હોય છે.
·
વાતના દઢીકરણ માટે ક્યાંક શબ્દ, શબ્દસમૂહ કે વાક્યનું પુનરાવર્તન થયેલું હોય છે.
·
કેટલીક વાર અલંકારનો ઉપયોગ ભાષાભિવ્યક્તિને સબળ કરવા થયો હોય છે.
·
પરિચ્છેદ(ગદ્યખંડ)નો સંક્ષેપ કરતાં
·
માં દર્શાવેલી સઘળી બાબતો દૂર કરો.
અ), (બ), (ક), (ડ) માં દર્શાવેલી સઘળી બાબતો દૂર કરતાં ધ્યાનમાં રાખો કે શબ્દોને સ્કુટ કરતાં, અર્થ કે ભાવ દૂર ન થઈ જાય. ભાવાર્થની માવજત કરતાં-કરતાં શબ્દોને દૂર કરો છો.
રણકામમાં કાચો મુસદ્દો તૈયાર કરો. ફરી વાંચી જાઓ. મૂળ પરિચ્છેદમાં જે વિચારવિસ્તાર છે, તેના શબ્દો ઓછા કરતાં, સંક્ષેપ કરતાં કંઈ નુકસાન તો નથી થયું ને? એ કાળજી રાખો
[3]નીચે આપેલો ગદ્યખંડ વાંચી ત્રીજા ભાગનો સાર લખી યોગ્ય શીર્ષક આપો."
૧. ‘એકાગ્રતાની શક્તિ જેમ વધુને વધુ કેળવાતી જશે તેમ તેમ વધુને વધુ જ્ઞાન પ્રાપ્ત થશે. જ્ઞાનપ્રાપ્તિનોઆ જ માત્ર ઉપાય છે. બૂટ-પોલિશવાળો પણ જેટલો વધારે એકાગ્ર થશે તેટલો તે જોડાને વધારે ચમકવાળાબનાવશે. એ જ રીતે એકાગ્રતાને લીધે રસોઈયો વધુ સારી રસોઈ બનાવશે. ધન મેળવવામાં, ઈશ્વરનીઆરાધના કરવામાં કે અન્ય કોઈ કાર્ય કરવામાં એકાગ્રતાની શક્તિ જેટલી વધારે તેટલું તે કાર્ય વધારે સારું થશે.માનવીની શક્તિઓને એકાગ્ર કર્યા સિવાય આ જગતમાંનું બધુ જ્ઞાન ક્યાં મળવાયું છે ? આપણે એના દ્વાર કેમખખડાવવા તે જાણીએ, યોગ્ય પ્રહાર કેવી રીતે કરવો? તે પિછાણીએ તો જગત તેનાં રહસ્યો આપણી સમક્ષખુલ્લા કરવા તૈયાર છે. એકાગ્રતામાંથી આ પ્રકારનું બળ અને શક્તિ આવે છે." - સ્વામી વિવેકાનંદ
પ્રશ્ન 2.
સ્ત્રી અને પુરુષ આ મુસાફરી જેવા જીવનમાં એકસાથે સુમેળ ન હોય, તો એ તાલબદ્ધ અને કર્ણપ્રિય હોતું નથી એમ પતિ અને પત્નીમાં સુમેળ ન હોય, તો જીવન સંવાદી હોતું નથી. બંનેની પાસે બંને જણાં વર્તન અને વ્યવહારની બાબતમાં તદ્દન ચોખાપણું ઇચ્છે છે; પરંતુ જો પતિ પત્નીને વફાદાર રહેવા તૈયાર ન હોય તો પત્ની પણ કંઈ પતિને વફાદાર રહેવા બંધાયેલી નથી. જગતનો નિયમ છે કે કોઈ વ્યક્તિ જે રીતે વર્તે એ જ રીતે તે જોઈને બીજી વ્યક્તિ પણ વર્તતી હોય છે. અલબત્ત, પતિ અને પત્ની પોતપોતાની ઇચ્છા પ્રમાણે સ્વચ્છંદ આચરણ કરનારાં ન બને, પણ પોતાના પગ ઉપર જ ઊભાં રહેનારાં અને સામાના આચારવિચારને યોગ્ય આદરથી સ્વીકારનારા બને. આમ નથી થતું તેથી જ પતિ અને પત્નીના જીવનમાં નાની વાતોને બહુ મોટું રૂપ આપી મોટા ઝઘડા અને સંઘર્ષો થાય છે.
ઉત્તરઃ
સંવાદી જીવન સ્ત્રી અને પુરુષ જીવનમાં એકસાથે મુસાફરી કરતાં માણસો છે. આથી જો પતિ અને પત્ની વચ્ચે સુમેળ ન હોય તો જીવન સંવાદી રહેતું નથી. જીવનમાં ઝઘડા અને સંઘર્ષોને નિવારવા બંનેએ એકબીજાના આચારવિચારને આદરપૂર્વક સ્વીકારવા જોઈએ.
3.શિસ્તના બે પ્રકાર છે: સ્વયંશિસ્ત અને ફરજિયાત શિસ્ત, સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ઘમઘમ’ એ ન્યાય મુજબ વિદ્યાર્થીઓ પર ફરજિયાત શિસ્ત લાદવામાં આવે છે; પરંતુ આજના જમાનામાં આવી શિસ્ત કારગત નીવડી શકે તેમ નથી. સ્વયંશિસ્ત કે સ્વૈચ્છિક શિસ્તના વાતાવરણમાં જ બાળકોનો સાચો વિકાસ થઈ શકે છે. ફરજિયાત પળાવવામાં આવતી શિસ્તમાં ભય હોય છે. સ્વયંશિસ્તમાં ભયને કોઈ સ્થાન હોતું નથી. વ્યક્તિઓ જાતે જ સમજી-વિચારીને શિસ્તનું પાલન કરે છે. આપણામાં સ્વયંશિસ્તની ભાવના કેળવાયેલી હશે તો અમેરિકા અને ઇંગ્લેન્ડની જેમ આપણા દેશની પણ પ્રગતિ થઈ શકશે. શિસ્તના અભાવે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. શાળાઓમાં વિદ્યાર્થીઓની અનિયમિતતા, ઘોંઘાટ, માલ-મિલકતનું નુકસાન, હડતાલ, મારામારી વગેરે ગેરશિસ્તનાં જ પરિણામ છે. શિસ્તને સદ્વ્યવહાર સાથે ગાઢ સંબંધ છે. જ્યાં વિનય, વિવેક અને જવાબદારીની ભાવના હોય છે ત્યાં શિસ્ત જળવાય છે અને વાતાવરણ સુખદ બને છે.
ઉત્તરઃ
સાચા વિકાસનું કારણ સ્વૈચ્છિક શિસ્ત શિસ્તના બે પ્રકાર છે સ્વયંશિસ્ત અને ફરજિયાત શિસ્ત. સ્વયંશિસ્ત કે સ્વૈચ્છિક શિસ્તના વાતાવરણમાં જ બાળકોનો સાચો વિકાસ થઈ શકે છે.
આપણામાં સ્વયંશિસ્તની ભાવના કેળવાયેલી હશે તો અમેરિકા અને ઇંગ્લેન્ડની જેમ આપણા દેશની પણ પ્રગતિ થઈ શકશે. શિસ્તના અભાવે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. શિસ્તને સવ્યવહાર સાથે ગાઢ સંબંધ છે.
પ્રશ્ન 3.
પશ્ચાત્તાપ એ એક કીમતી ધર્માનુભવ છે. જે વાસણ માટી કે રાખથી સાફ થતાં નથી તે જેમ તેજાબથી સાફ થાય છે ને કાટ બધો ઓગાળી કે બળી જઈ વાસણ ચળકવા માંડે છે, તેવી જ રીતે ધર્મજીવન પર બાઝેલી કેટલીયે શિથિલતા પશ્ચાત્તાપથી દૂર થઈ જાય છે અને માણસ એકાએક પલટો ખાય છે. ખરેખર પશ્ચાત્તાપની અસર તેજાબથી ઓછી નથી હોતી. સૃષ્ટિ માટે ને એમાંય માનવજીવન માટે ઈશ્વરની યોજના છે મંગળ ને પવિત્ર. એમાં ભંગાણ પાડી શકે માનવીની મૂર્ખાઈથી, પણ એ ભંગાણ પાછું સંધાય છે. માનવીના પશ્ચાત્તાપથી ને ઈશ્વરની અનહદ કૃપાથી. આખરે એની એ દિવ્ય યોજના આગળ ચાલવાની જ.
– કાકા કાલેલકર
ઉત્તરઃ
પશ્ચાત્તાપની તેજાબી અસર
પશ્ચાત્તાપથી ધર્મજીવન પર બાઝેલી શિથિલતા દૂર થાય છે. સૃષ્ટિ માટે અને માનવજીવન માટે ઈશ્વરની મંગળ અને પવિત્ર યોજના છે. એમાં ભંગાણ માનવીની મૂર્ખાઈને લીધે પડે છે. ઈશ્વરની યોજનામાં પડેલું ભંગાણ માનવીના પશ્ચાત્તાપથી અને ઈશ્વરની અનહદ કૃપાથી ફરી સંધાય છે.
પ્રશ્ન 4.
યુવાન માણસોમાં ઘણુંખરું મનમાં આવે તે કહી દેવાની ટેવ હોય છે, જેથી કરી લુચ્ચાઈમાં પાકા થયેલા માણસોનો તેઓ બિચારા ભોગ થઈ પડે છે. કોઈ લુચ્ચો માણસ તેમને કહેશે કે હું તમારો મિત્ર છું તો ખરે જ તેને ખરો મિત્ર ગણે અને ક્ષણિક મિત્રતાના વચનથી તેમાં વગર વિચારે બેહદ વિશ્વાસ રાખે. તેથી પોતાને હંમેશાં નુકસાન થાય; એટલું જ નહિ પણ ઘણી વખત વિનાશકારક પરિણામ નીપજે. આથી મોઢે બોલીને દર્શાવેલી મિત્રતાથી સાવધ રહેવું. તેના મિત્ર આવે ત્યારે તેમને ઘણી સલુકાઈથી મળવું, પણ તેમના બોલવામાં કાંઈ ભરોસો રાખવો નહિ. પહેલી જ મુલાકાતમાં અથવા થોડીક ઓળખાણમાં લોકો મિત્ર થઈ જાય છે એવું કદી ધારતા નહિ. ખરી મિત્રતા તો હળવે હળવે થાય છે અને અન્યોન્યના ગુણનું જ્ઞાન થયા વગર તે મિત્રતા વૃદ્ધિ પામીને કદી પક્વ થતી નથી.
ઉત્તરઃ
સાચા મિત્રની પરખ કેટલાક ભોળા યુવાનો “તમારો મિત્ર છું એમ કહેનાર અજાણ્યા માણસને પણ ખરો મિત્ર ગણી લે છે, એવો વધુ પડતો વિશ્વાસ નુકસાનકારક નીવડે છે. વાસ્તવમાં મિત્રતા ધીમે ધીમે જ કેળવાય છે અને અન્યોન્યના ગુણોની પરખ વગર દઢ થતી નથી.
પ્રશ્ન 5.
“પુસ્તક આધુનિક માનવીને આનંદ આપનાર સૌથી અને સૌથી શિષ્ટ સાધન છે. તેનો આનંદ અનેરો હોય છે. પુસ્તકની પ્રશસ્તિ કરીએ એટલી ઓછી. માણસને એની સાથે એવી મહોબત છે કે પુસ્તક સાથે તે હસે છે, રડે છે, ઉદાસ થઈ જાય છે, આનંદ પામે છે. પુસ્તકની હાજરીમાં પોતાની જાત સાથે વાતો કરવા લાગે છે અને પોતાની જાતને ક્યારેક તો માત્ર પુસ્તક પાસે જ ખુલ્લી કરે છે. પુસ્તક માનવીને માટે દિલોજાન દોસ્ત છે. પુસ્તક એક વિસ્મયકારક વસ્તુ છે. તેને ભૌતિક શરીર હોય છે અને તેને આત્મા પણ હોય છે. વિચારો, લાગણીઓ, ધબકાર, જ્ઞાન, માહિતી કંઈ કેટલુંય સંયોજિત થઈને તેમાંથી પુસ્તક બને છે. તેની સાથે તમે વાતો કરી શકો છો, સફર કરી શકો છો. ?
પુસ્તક એક જાદુઈ દીવો છે. દીવાની પાસે એકલા બેઠા હોઈએ અને સાથે પુસ્તક હોય એના જેવો આનંદ દુનિયામાં એકે નથી.
– મોહમ્મદ માંકડ
ઉત્તરઃ
પુસ્તક એક જાદુઈ દીવો
પુસ્તક આધુનિક માનવીને આનંદ આપનાર સૌથી અને સૌથી શિષ્ટ સાધન છે. પુસ્તક માનવીને માટે દિલોજાન દોસ્ત છે. વિચારો, લાગણીઓ, ધબકાર, જ્ઞાન, માહિતી વગેરેના સંયોજનથી પુસ્તક બને છે. પુસ્તક એક જાદુઈ દીવો છે.
દીવાની જેમ પુસ્તક જ્ઞાનરૂપી ઉજાસ પાથરે છે અને આનંદ આપે છે.
૬ “લોકો મારું કામ જુએ કે ન જુએ, તેની કદર કરે કે ન કરે, મને શાબાશી આપે કે ન આપે, તોયે હું સંપૂર્ણ નિષ્ઠાથી અને મારી શક્તિના ઉચ્ચતમ ધોરણ મુજબ મારું એ કામ કરતો રહીશ. પરીક્ષા હોય કે ન હોય તો હું સરખી રીતે વાંચીશ, કસોટીના ગુણ છેલ્લા પરિણામ માટે ગણાય કે ન ગણાય તોયે હું તે સરખી કાળજીથી લખીશ; ક્રિકેટમૅચ ટ્રૉફી માટેની હોય કે ખાલી “મૈત્રીરમત’ હોય તોયે હું સરખા ઉત્સાહથી રમીશ. સ્થળ વળતરની આશા નહિ, પણ મારા લાયક કામ કર્યાનો આત્મસંતોષ એ મારું પ્રેરકબળ હશે. મનના આ વલણને કલાકારો “કલા ખાતર કલા’ કહે છે. પણ છે તો જુદી જુદી પરિભાષામાં એક જ સિદ્ધાંતના ભાષાંતર. કામને અર્થે જ કરેલું ઉત્તમ કોટિનું કામ. પૂજામાં દેવમૂર્તિને ચોખા ચડાવાય છે. ચોખાના દાણા અક્ષત હોવા ઘટે. એ સારા દાણા ભેગો એક તૂટેલો હોય તો “ચાલશે’ એમ માને તે સાચો પૂજારી નથી.”
– ફાધર વાલેસ
ઉત્તરઃ
જીવનનો સાચો પૂજારી
કદર કે શાબાશીની આશા રાખ્યા વિના પૂરેપૂરી શક્તિ અને સંપૂર્ણ નિષ્ઠાથી હું મારું કાર્ય કરતો રહીશ. પરીક્ષા કે ક્રિકેટમૅચનું પરિણામ નહિ, પણ એમાં ઉત્સાહપૂર્વકની મારી સામેલગીરીનું મારે મન મહત્ત્વ છે. કારણ કે વળતર નહિ પણ આત્મસંતોષ એ જ મારું પ્રેરકબળ છે.
કામને અર્થે કરેલું ઉત્તમ કોટિનું કામ એ “કલા ખાતર કલા’ જેવો જ સિદ્ધાંત છે.
પ્રશ્ન 7.
સમગ્ર વિશ્વને સંસ્કૃતિ અને સભ્યતાથી ચકિત કરી દેનારા ભારતદેશમાં આજે એકવીસમી સદીમાં પણ સ્ત્રીઓની હાલત દયનીય છે. વિજ્ઞાન આદિ ક્ષેત્રોમાં સ્વાવલંબી બન્યા છતાં સ્ત્રી-સ્વાતંત્ર્યની બાબતમાં હજી ઘણા પછાત છીએ. રાજા રામમોહન રાય, પૂ. બાપુ, મહર્ષિ કર્વે, રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાન પુરુષોએ નારી-સ્વાતંત્ર્યની ઝુંબેશમાં અને સ્ત્રી-શિક્ષણમાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો, પરિણામે સ્ત્રી આગળ આવી. આઝાદ દેખાઈ પણ બની શકી નહિ. આજે જાહેર ક્ષેત્રમાં ભારતીય નારી સ્વ-બળે પુરુષ સમોવડી’ હોવાનો દાવો કરે છે પણ હાલત તો “આગ નીચે જલે છે અંગારા’ જેવી છે. સ્ત્રીની મનોદશા હજુ પણ દયનીય રહી છે. પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ તેને પસંદ છે, પણ સ્ત્રીને આઝાદી આપવાની વાત આવે ત્યારે તે બે-ઘડી વિચારમાં પડી જાય છે. નારી તું નારાયણી’નો આદર્શ છે, પણ વ્યવહાર નથી. શિક્ષિત અને સામાજિક – વ્યાવસાયિક મોભાવાળી
સ્ત્રી પણ ઘરમાં પતિના હુકમ તળે દબાયેલી રહે છે. નવા જમાનામાં ગર્ભ-પરીક્ષણ બાદ સ્ત્રી-ભૂણની હત્યા કરાય છે. આધુનિક નારીએ હર સંજોગમાં પુરુષની નજરથી બચતા રહેવાની કોશિશ કરવી પડે છે. આઝાદ ભારતમાં સ્ત્રીની સુરક્ષા છીનવાઈ ગઈ છે. તેને છાના ખૂણે ડૂસકાં જ સાથ આપે છે. નારી સ્વતંત્ર બને એ સમાજ ઇચ્છતો નથી.
ઉત્તરઃ
અસુરક્ષિત નારી , સંસ્કૃતિ અને સભ્યતાની દષ્ટિએ શ્રેષ્ઠ ભારતમાં સ્ત્રીઓની હાલત આજેય દયનીય છે. અનેક ક્ષેત્રે સ્વાવલંબી થવા છતાં આ બાબતમાં આપણે ઘણા પછાત છીએ. વિવિધ મહાપુરુષોએ સ્ત્રી-સ્વાતંત્ર્ય અને સ્ત્રી-શિક્ષણની ઝુંબેશ ચલાવી છતાં પુરુષ સમોવડી’ લાગતી સ્ત્રીની મનોદશા દયનીય છે.
પુરુષને સફળતામાં સ્ત્રીનો સાથ જોઈએ છે, પણ તેની સ્વતંત્રતા અંગે એનાં કથની અને કરણીમાં ભેદ છે. આજે શિક્ષિત અને મોભાદાર સ્ત્રી પણ ઘરમાં પરાધીન હોય છે. આજે સ્ત્રી-લૂણહત્યા જેવી નવી સમસ્યા ઉદ્ભવી છે. સમાજની અનિચ્છાને લીધે આજે નારી ક્યાંય સુરક્ષિત નથી.
પ્રશ્ન 8.
આપણા જીવનમાંથી માવજતની માત્રા ઘટતી જાય છે, અને તૈયાર માલ ઓછી મહેનતે મેળવવાની તાલાવેલી વધતી જાય છે. આજ સુધી કોઈ માએ પોતાના દીકરાને વર્ષગાંઠે હોટલમાં જમાડ્યો સાંભળ્યો છે? કોઈ સમાજમાં આયા વડે સારાં છોકરાં તૈયાર થયાં છે? કોઈ હૉટલની રસોઈમાં માની રસોઈનો હૂંફાળો સ્વાદ મળ્યો છે? એમાં ફરક છે માવજતનો. આ જમાનામાં જ્યારે લોકોને ઓછી મહેનતે વધુ પ્રમાણમાં તૈયાર વસ્તુની પ્રાપ્તિ માટે ધસતા જોઉં છું ત્યારે લાગે છે કે જાણેઅજાણે પણ લોકોમાં “માવજત’ ભુલાતી જાય છે. માવજત કરનારામાં પ્રમાણભાન, ધીરજ, હળવે હાથે કામ કરવાની આવડત, ક્ષમતા, સહનશક્તિ અને સ્નેહ હોવાં જોઈએ. કોઈ પણ ગરીબ માએ જહેમત ઉઠાવી ઉછેરીને ખૂબ ભણાવેલા મોટા દાક્તર દીકરાની પાછળ માવજતનો મંતર છે. કોઈ પણ સફળ દાક્તરની સફળતા પાછળ માવજતનો ટહુકો છે. કોઈ સફળ પ્રોફેસરના સુંદર વ્યાખ્યાનની છટા પાછળ માવજતનો ધ્વનિ છે. માવજતનો મંતર આ જમાનામાં સૌએ વાગોળવા જેવો, આચરવા જેવો છે. માવજત જીવન અજવાળશે.
ઉત્તરઃ
માવજતનો મહિમા ઓછી મહેનતે વધુ પ્રમાણમાં તૈયાર વસ્તુ મેળવવાની ઘેલછાને લીધે આપણા જીવનમાંથી માવજતની માત્રા ઘટતી જાય છે. એક મા પોતાના દીકરાના ઉછેરમાં કે રસોઈ બનાવવામાં જે માવજત દાખવે છે એની બરોબરી આયા કે હૉટેલનો રસોઇયો ન કરી શકે.
એક ડૉક્ટર કે પ્રોફેસરની સફળતા પાછળ તેમની માતાની માવજત રહેલી હોય છે. જોકે માવજત કરનારમાં પ્રમાણભાન, ધેર્ય, આવડત, ક્ષમતા, સહનશક્તિ અને સ્નેહ હોવાં જોઈએ. માવજતનું આચરણ આપણા જીવનને જરૂર અજવાળશે.
પ્રશ્ન 9.
“મનુષ્યમાત્રનો પોતાના પડોશી પ્રત્યે પહેલો ધર્મ છે. એમાં પરદેશીનો દ્વેષ નથી અથવા સ્વદેશીનો પક્ષપાત નથી. શરીરધારીની સેવા કરવાની શક્તિને મર્યાદા છે. એ પોતાના પડોશીને મુશ્કેલીથી પહોંચી શકે છે. પોતાના પડોશી પ્રત્યેનો ધર્મ સહુ બરાબર પાળે તો જગતમાં કોઈ મદદ વિના દુઃખી ન થાય. પડોશીની સેવા કરનાર આખા જગતની સેવા કરે છે એમ કહી શકાય. પડોશી પ્રત્યેના ધર્મનું પાલન એટલે જગત પ્રત્યેના ધર્મનું પાલન. જગતની સેવા બીજી રીતે અશક્ય છે, જે પડોશીને તરછોડે છે ને પોતાના શોખને પૂરે છે તે સ્વેચ્છાચારી ૩ છે, સ્વચ્છંદી છે; તે કેવળ પોતાના માટે જ જીવે છે. જેને મન આખું જગત કુટુંબ છે તેનામાં બધાની સેવા કરવાની શક્તિ હોવી જોઈએ. જગતની સેવા પડોશીની સેવા વડે જ થઈ શકે.” – ગાંધીજી
ઉત્તરઃ
પડોશીધર્મ પડોશીની સેવા કરવી એ મનુષ્યનો પહેલો ધર્મ છે. પડોશીની સેવા એ આખા જગતની સેવા છે. જે કેવળ પોતાની સુખાકારીનો જ વિચાર કરે અને પડોશી પ્રત્યે ઉપેક્ષા સેવે તે સ્વેચ્છાચારી કે સ્વચ્છેદી કહેવાય. તમે આ જગતને તમારું કુટુંબ માનતા હો તો તમારા સૌ કુટુંબીજનોની સેવા કરવાની શક્તિ તમારે કેળવવી જોઈએ.
પ્રશ્ન 10.
કેટલીક વાર એવું બને કે સાચા દિલની પ્રાર્થનાનો ઉત્તર ન મળે. એવું બને ત્યારે નિરાશ ન થવું. શ્રદ્ધા ગુમાવવી નહિ. માનવું કે આપણી શ્રદ્ધાની કસોટી થઈ રહી છે. ભગવાન આપણા હૃદયને વધારે વિશુદ્ધ કરી રહ્યા હોય તેમાં વિલંબ તો થાય જ ને? એવી સમજ નહિ રાખી હોય તો અધીર બનીને ભગવાન વિષે અભાવ જાગશે. ઊંચા માર્ગ પરથી સરી જવાશે. નિશ્ચય પીગળી જશે. માટે ધેર્ય તો રાખવું જ પડે. કેટલીક વાર કડક પરીક્ષા થાય છે. ત્યારે એમ ન સમજવું કે પરમેશ્વરનું કાળજું કઠણ થઈ ગયું છે. એમનાથી આપણી પ્રાર્થના સંભળાતી નથી. પ્રાર્થનાનો ઉત્તર ન મળે કે મોડો મળે એમાં અજંપો શો? ભગવાન ફળ આપે ત્યારે એમનો આભાર માનવો એટલું તો સૌ કોઈ કરી શકે. પરંતુ એમને કરેલી પ્રાર્થના નિષ્ફળ જાય ત્યારે એમને કે પોતાના ભાગ્યને દોષ ન દેતાં ધીરજ રાખે તેવા સાધકો જ આગળ વધી શકે છે.
– સ્વામી શિવાનંદજી
ઉત્તરઃ
સાચી શ્રદ્ધા પ્રાર્થનાનો જવાબ ન મળે ત્યારે માનવું કે ભગવાન આપણી શ્રદ્ધાની કસોટી કરી આપણા હૃદયને વધારે વિશુદ્ધ કરી રહ્યા છે. આવું ધર્યન રાખતાં ભગવાન પ્રત્યે અભાવ થાય, માર્ગ ચૂકી જવાય કે નિશ્ચય પીગળી જાય.
કડક પરીક્ષાનો અર્થ એ નથી કે પરમેશ્વર કઠોર છે યા પ્રાર્થના સાંભળતા નથી. પ્રાર્થનાનો વહેલો કે મોડો ઉત્તર મળે જ છે. પ્રાર્થના સફળ થાય ત્યારે તો હરકોઈ પ્રભુનો પાડ માને પણ નિષ્ફળ જાય ત્યારે પણ ધીરજ રાખી શકે એવા સાધકો જ પ્રગતિ કરી શકે.
ગુજરાતી વિભાગ
ટિપ્પણીઓ