વાક્કૌશલ (વાક્ + કૌશલ 5



વાક્કૌશલ (વાક્ + કૌશલ)...(૫)

----------------------------------------

વાણીની વેણીમાં રંગબેરંગી ફૂલો

(સુવાક્યો)

----------------------------------------

+ વાણી - સરસ્વતીના હસ્તાક્ષર...

જનજનને જગાડનારી, જોડનારી અને જીતનારી વાણી;

જનજનના મંગલ માટે વહેતી અને જગદીશ તરફ ગતિ કરાવનારી વાણી તો સ્વયં ભગવતી મા સરસ્વતીના હસ્તાક્ષર છે.

   --- પ્રા. ધીરેન્દ્ર રેલિયા

+ તપસ્વી વાણી તો જીવન તણો આધાર લાગે છે,

નહીં તો શબ્દો મોટા મોટા કેવળ ભાર લાગે છે !

+ જ્યારે શબ્દની પાછળ વિચારનું બળ હોય, ચિંતનનું તત્ત્વ હોય, જીવન સમસ્તનું મંથન હોય અને જીવનના ઊંડા ભાવો હોય ત્યારે એવો શબ્દ મંત્રરૂપ બની જાય છે.

           --- ચિત્રભાનુ 

+ કાગડો કોઈનું કાંઈ લઈ લેતો નથી અને કોયલ કોઈને કાંઈ આપી દેતી નથી; પણ કોયલ એના વિનય અને મધુરતાભર્યા શબ્દથી જગતને પોતાનું બનાવી દે છે. આમ, વચન સાથે જો વર્તન ભળે તો સમજજો કે જગત તમારું છે.

             --- ચિત્રભાનુ 

+ ઘણા માણસો પોતાને બોલતાં આવડે છે એમ બતાવવા જતાં, પોતાને બોલતાં નથી આવડતું એ સિદ્ધ કરી આપે છે.

             --- ચિત્રભાનુ

+ ઈશ્વરનાં બે પાસાં છે : શબ્દ અને પ્રેમ.

શબ્દ કરે છે પ્રભુની અભિવ્યક્તિ, તો પ્રેમ કરાવે છે અનુભૂતિ. આ સત્ય આપણા હૈયાને અજવાળતું રહે તો શબ્દ અને પ્રેમને આપણે કેવાં પૂજ્ય અને પવિત્ર માનીએ !

             --- ચિત્રભાનુ

+ મિત્રો ! બોલતાં આવડે તો જરૂર બોલજો. તમારા હૈયામાં જગતને આપવા જેવો મૈત્રીનો પ્રેમસંદેશ છે એમ તમારા આત્માને લાગે તો  જરૂર બોલજો. પણ તમારા બોલવાથી જગતમાં માત્ર શત્રુઓ જ ઊભા થતા હોય, કોઈના દિલને ઠેસ લાગતી હોય, તો મૌન મજાનું છે. આમ મૌન રહેવાથી કદાચ તમારા હાથે માનવજાતનું હિત નહીં થાય તો પણ અહિત તો નહીં જ થાય.

               --- ચિત્રભાનુ

+ મને એ હાસ્ય ગમે છે, જે એક સાથે હોઠ અને હૃદય ખોલે છે.

               --- વિક્ટર હ્યુગો

+ શ્યામ ! તારી બંસી થઈને બજવું છે મારે,

સૂર છેડવા કેવા, ક્યારે ?

એ જોવાનું તારે !

              --- હરિભાઈ કોઠારી

+ लौकिकानां हि साधूनाम्,

अर्थम्  वागनुवर्तते ।

ऋषिणाम् पुनर्आद्यानां,

वाचमथों अनुधावति ।।


લૌકિક સજ્જનોની વાણી અર્થને અનુસરે છે, જ્યારે આદ્ય ઋષિઓની વાણીનું તો અર્થ સ્વયં અનુસરણ કરે છે.

             --- ભવભૂતિ


મિત્રો, 

આ સાથે વાક્કૌશલની શ્રેણી અહીં પૂરી કરું છું. આ શ્રેણીના સમૃદ્ધ વિચારો મને નીચેનાં ચાર પુસ્તકોમાંથી સાંપડ્યા છે :

(૧) વાણીને ઝરૂખેથી

(૨) આદર્શ વક્તાનું ઉપનિષદ

(૩) વકતૃત્વકળા - એક સાધના

આ ત્રણેય પુસ્તકના લેખક પ્રા. ધીરેન્દ્ર રેલિયા છે, અને પ્રકાશક નવભારત સાહિત્ય મંદિર છે.

(૪) શબ્દોનું સૌંદર્ય 

 લેખક :મુનિશ્રી મુક્તિવલ્લભવિજયજી

પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર, ગાંધી રોડ, અમદાવાદ


આદર્શ વક્તા બનવા ઇચ્છતા મિત્રોએ આ પુસ્તકો અવશ્ય વાંચવાં જોઈએ.


(શ્રેણી પૂર્ણ)


પ્રસ્તુતિ :

------------

હર્ષદ પ્ર. શાહ

ઉપાધ્યક્ષ

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન 


સંપર્ક : ૯૯૭૯૮૪૧૬૫૦

બારડોલી

 ______________

ટીમ

✍🏼

ટીમ *Limited 10 પોસ્ટ* વતી 

સંદીપ જોશી


(આ પોસ્ટ કોપી રાઈટ આરક્ષિત હોવાથી તેના લખાણમાં કોઈ ફેરફાર કરવો નહીં)


[23,000 વાચકો, *નિજાનંદ* અને  *માતૃભાષાના પ્રસાર* માટે ધબકતું, *Limited 10 ✉  પોસ્ટ* ગ્રુપ, મારી ડિજિટલ પોકેટ 📚 લાઈબ્રેરી]


 *જોડાઓ અમારી સાથે*


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3